
- રાજ્યમાં 72 રેલવે ક્રોસિંગ પર અંડર કે ઓવરબ્રિજ બનાવાશે
- રાજ્યમાં 11 ક્રોસિંગ પર બ્રિજ બની રહ્યા છે
- બ્રોડગેજ નેટવર્ક પરના માનવરહિત લેવલ ક્રોસિંગ 2018માં જ નાબુદ કરાયા છે
અમદાવાદઃ ગુજરાતમાં રેલવેના 83 જેટલાં ફાટકો પર ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાને મંજુરી આપવામાં આવી છે. જેમાં 83માંથી 11 રેલવે ફાટકો પર અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. અને બાકીના 72 ફાટકો પર ઓવર કે અંડરબ્રિજ બનાવવામાં આવશે
સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે તંત્રએ સુરક્ષાના હેતુથી ગુજરાતના મુખ્ય 83 લેવલ ક્રોસિંગને અંડર કે ઓવરબ્રિજમાં રૂપાંતરિત કરી રાજ્યને ફાટક મુક્ત બનાવવાની કવાયત હાથ ધરી છે. ગુજરાતને સંપૂર્ણ રીતે ફાટક મુક્ત બનાવવાની આ યોજના 1393 કરોડ રૂપિયાની છે. જે હેઠળ રાજ્યના 83માંથી 11 લેવલ ક્રોસિંગને અંડર કે ઓવર બ્રિજમાં રૂપાંતરિત કરવામાં આવ્યાં છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, છેલ્લાં એક દસકામાં લગભગ 1050 લેવલ ક્રોસિંગને અંડર બ્રિજ કે ઓવરબ્રિજમાં રૂપાંતરિત કરી દેવાયા છે. તેમજ ગુજરાતમાં બ્રોડગેજ નેટવર્ક પરના તમામ માનવરહિત લેવલ ક્રોસિંગ 2018માં જ નાબુદ કરી દેવાયા છે. ગુજરાતમાં જે 83 લેવલ ક્રોસિંગને નાબુદ કરવાની યોજના છે. તેમાંથી 11ને તો અંડર કે ઓવરબ્રિજમાં રૂપાંતરિત કરી દેવાયા છે. બીજી બાજું રેલવેએ ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર સાધને બેડીબંદર સાથે કનેક્ટિવિટી કટોસણ-બેચરાજી-રણુજ લાઈનનું ગેજ રૂપાંતરણ, ઉત્પાદિત કાર લોડ કરવા, દેશમાં અને નિકાસ કરવાના હેતુથી બંદરો સુધીની પરિવહન સેવા માટે મારૂતિ સુઝિકી કાર પ્લાન્ટ સુધી રેલવે સાઈડિંગ વિકસાવ્યુ છે.