
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા દાતાર નજીક એસટી બસ, કાર અને બાઈક વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. આ દૂર્ઘટનામાં બાઈક ચાલકને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કારમાં સવાર વ્યક્તિ દીવથી પરત વડોદરા જઈ રહ્યાં હતા. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં રહેતા દેવભાઈ સોની સહિત ત્રણેક વ્યક્તિ કારમાં દીવથી પરત વડોદરા જઈ રહ્યાં હતા. તેમની કાર અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પરથી મીરા દાતાર પાસેથી પસાર થઈ રહી હતી. દરમિયાન કારના ચાલકે સ્ટેયરિંગનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવીને સામેની તરફથી આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઉપરાંત કાર અને બસની સાથે બાઈક પણ અથડાયું હતું. કાર રોંગસાઈડમાં આવતી હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે બાઈક ચાલકને ઈજા થઈ હતી.
આ બનાવની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ મૃતકોની ઓળખ મેળવાની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોના મોબાઈલ ફોનની મદદથી તેમની ઓળખ કરવામાં આવી હતી. આ દૂર્ઘટનામાં દેવભાઈ સોની, જયભાઈ પટેલ અને સુમુખભાઈ ઠક્કર (તમામ રહે, પાદરા જી. વડોદરા)ના મોત થયાનું જાણવા મળે છે. તેમજ ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં મારુતિ સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, જેનાથી અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ થાય છે.