Homeગુજરાતીગુજરાતભાવનગરના ભરતનગરમાં હાઉસિંગ બોર્ડની જમીન પર ગાર્ડનનો પ્રોજેક્ટ વિવાદમાં સપડાયો

ભાવનગરના ભરતનગરમાં હાઉસિંગ બોર્ડની જમીન પર ગાર્ડનનો પ્રોજેક્ટ વિવાદમાં સપડાયો

  • હાઉસિંગ બોર્ડે પોતાની જમીનમાં ગાર્ડન ન બનાવવા મ્યુનિને ફરમાન કર્યું
  • મ્યુનિએ 45 લાખનો ખર્ચ કર્યા બાદ વિવાદ સર્જાયો
  • મ્યુનિ. અને હાઉસિંગ બોર્ડ વચ્ચે સંકલના અભાવથી ગાર્ડનનું કામ અટક્યુ

ભાવનગરઃ શહેરના ભરતનગર વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. એમાં હાઉસિંગ બોર્ડની જમીન પણ આવી જાય છે. મ્યુનિએ હાઉસિંગ બોર્ડ પાસે મંજુરી લીધી નથી. આથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પોતાની લગત જમીન છોડી બાકીની જમીનમાં ગાર્ડનનું નિર્માણ કરવા તાકીદ કરતા ગાર્ડનનું કામ ટલ્લે ચડ્યું હતું. બન્ને વિભાગોના સંકલનના અભાવે ગાર્ડનના કામને બ્રેક લાગી ગઈ છે.

ભાવનગરના ભરતનગરમાં 70થી 80 હજારની વસ્તી છતાં લોકોને સુવિધાના નામે એકપણ બગીચો નથી. બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન હરવા ફરવા જઈ શકે એ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને મ્યુનિ.કોર્પોરેશનની જમીન પર વર્ષ 2022માં ગાર્ડન બનાવવાની શરૂઆત કરાઈ હતી. કામ શરૂ થયાના થોડા મહિના વીત્યા બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પોતાની લગત જમીન છોડી બાકીની જમીનમાં ગાર્ડનનું નિર્માણ કરવા તાકીદ કરતા કામ ટલ્લે ચડ્યું હતું. પરંતુ સવાલ એ છે કે, સરકારના જ બે વિભાગના વિવાદમાં લોકોને સુવિધાતો ના મળી અને 45 લાખ રૂપિયાનો વેડફાટ થઈ ગયો. ત્યારે લોકો દ્વારા અહીં ઝડપથી બગીચાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એક સમયે શહેરનો છેવાડાનો વિસ્તાર ગણાતા ભરતનગરમાં સરકારી આવાસ યોજનાની અનેક સ્કીમો સાકાર થઈ રહી છે, જેના કારણે અહીં લોકોની વસ્તીમાં પણ વધારો થયો છે. હાલ આ ભરતનગર વિસ્તારમાં 70 હજારથી વધુની વસ્તી સામે લોકોની સુવિધા માટે એક પણ બગીચો નથી. મ્યુનિ. દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા તેમજ મ્યુનિ. હસ્તકની કુલ મળી 20 હજાર ચોરસમીટર જગ્યા પર 2 કરોડથી વધુના ખર્ચે ગાર્ડન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે માટે 2022માં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીને કામ સોંપી દેવાયુ હતું. એજન્સી દ્વારા ગાર્ડન ફરતે વોલ બનાવવાનું કામ શરૂ કરાયું હતું, પરંતુ કામગીરી ચાલુ હતી ત્યાં થોડા મહિના બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડની લાગત જમીન છોડી બાકીની જમીન પર જ બગીચો બનાવવા તાકીદ કરી હતી, જેના કારણે કામ અટકી પડ્યું હતું. આ વાતને આજ બે વર્ષ કરતા વધુ સમય થયો તેમ છતાં આજદિન સુધીમાં બગીચાનું નિર્માણ થયું નથી. આ વિસ્તારના સ્થાનિકોની વહેલી તકે આ ગાર્ડન બનવવામાં આવે તેવી માગ કરી છે.

સંબંધિત લેખો

Most Popular