અમદાવાદ, 12 મે 2026 : Prisoner escapes from Sabarmati Central Jail શહેરમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં હત્યા અને પોક્સોના ગુનામાં આજીવન કેદની સજા ભાગવી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલમાં મુખ્ય દરવાજેથી બિન્દાસ્તરીતે બહાર નીકળીને ભાગી ગયો છે. જેલતંત્રને બડા ચક્કરમાં કેદીઓની ગણતરી કરાતી હતી. ત્યારે જ કેદી ભાગી ગયો હોવાની ખબર પડી હતી. આ અંગે જેલરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગુજરાતની સૌથી મોટી ગણાતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી આજીવન કેદની સજા ભોગવતો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલમાંથી ફરાર થઈ જતા જેલ સ્ટાફમાં દોડધામ મચી ગઈ છે. ઘટના માત્ર એક કેદી ભાગી જવાની નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જેલમાં ચાલી રહેલા આંતરિક વિવાદો, કેદીઓ વચ્ચેના તણાવ અને સ્ટાફનો પડદાફાશ થયો છે. સાબરમતી મધ્યસ્થ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા દેવદત્તસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવી છે કે જેલમાં બડા ચક્કર યાર્ડ નંબર-4માં કુલ 33 કેદીઓ રાખવામાં આવ્યા હતા. ગણતરીમાં માત્ર 32 કેદીઓ મળતા માલદે પરમાર ગાયબ હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ જેલમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કેદીનો કોઈ પત્તો ન લાગતા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. ફૂટેજમાં માલદે પરમાર બડા ચક્કર યાર્ડમાંથી બહાર નીકળીને જેલ સ્ટાફને ચકમો આપતો અને મેન ગેટની બહાર નીકળી જતો જોવા મળ્યો હતો.
ગુજરાતની હાઈ સિક્યોરિટી જેલમાંથી એક આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી સહેલાઈથી બહાર નીકળીને કેવીરીતે ભાગી ગયો તે તપાસનો વિષય છે. માલદે પરમાર સામાન્ય કેદી નહોતો. તેના વિરુદ્ધ વર્ષ 2023માં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હત્યા, પોક્સો સહિત ગંભીર ગુનાઓ નોંધાયા હતા. વર્ષ 2025માં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. પહેલા તેને પોરબંદર જેલમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજકોટ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. તબિયત બગડતા તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. વર્ષ 2025થી તે સાબરમતી જેલના બડા ચક્કર વિભાગમાં હતો.


