અમદાવાદ, 2 ફેબ્રુઆરી 2026: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર ગઈ તા.1લી જાન્યિઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ફ્લાવર શો યોજાઈ ગયો, ફ્લાવર શોમાં દેશ-વિદેશના રંગબેરંગી ફૂલોનો નજારો માણવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યાં હતા. ફ્લાવર શો પૂર્ણ થતાં હવે ફ્લાવરના રોપાઓના વેચાણનો એએમસીના ગાર્ડન વિભાગે નિર્ણય લીધો છે. શહેરમાં આવેલી ચાર જેટલી મ્યુનિની નર્સરીઓ ઉપરથી આ તમામ અલગ અલગ પ્રજાતિના રોપાઓ નાગરિકો ખરીદી શકશે. પ્રતિ રોપાનો ભાવ 10 રૂપિયાથી લઈને 235 રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે. નાગરિકો ગમે તેટલા ફુલના રોપાઓ ખરીદી શકશે.
શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ફૂલના રોપાઓ વાવવામાં આવ્યા હતા અને તેનું પ્રદર્શન નાગરિકોએ નિહાળ્યું હતું. જેમાં ગજેનીયા, ડાયન્થસ, સિલોસીયા, વિન્કા, કેલેન્ડુલા, ઓર્નામેન્ટલ કેલ, બીગોનીયા, હાયપોસ્ટીસ, સિલ્વર ડસ્ટ, પીટુનીયા, યુફોર્બીયા, કોલીયસ, સેવંતી, સાલ્વીયા, એસ્ટર, ડાયન્થસ, પીટુનીયા, ગ્રીન-રેડ અલ્ટનેન્થેરા વગેરે પ્રકારના રોપાઓ હતા. આ રોપાઓને વેચવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે જે શહેરના ચાંદખેડા, એલિસબ્રિજ, નવરંગપુરા અને સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી નર્સરીઓ ખાતે વેચાણ કરવામાં આવશે.
મ્યુનિના ગાર્ડન વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરના રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં જે ફૂલોના રોપા વેચાણ કરવાના છે તેના માટે 1થી 100 નંગ, 100 નંગથી 1000 નંગ અને 1000થી વધુ નંગના ભાવો નક્કી કરવામાં આવ્યા છે. અલગ અલગ જાતના ભાવો રાખવામાં આવ્યા છે જેમાં 10 રૂપિયાથી શરૂ કરીને 235નો ભાવ રાખવામાં આવ્યો છે. જો એક સાથે વધારે રોપાવો ખરીદવામાં આવે તો તેના માટેનો ભાવ ઓછો રાખવામાં આવ્યો છે. ડાયન્થસ, પીટુનીયા, ગ્રીન-રેડ અલ્ટનેન્થેરા વગેરે પ્રકારના રોપાઓ માત્ર 1000 નંગ સુધી જ લઈ જઈ શકાશે. આ રોપાવો ખૂબ ઓછા હોવાના કારણે એટલા મોટા પ્રમાણમાં લઈ જઈ શકાશે નહીં.


