1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરના ધ્રોલ નજીક પૂરફાટ ઝડપે કારએ પલટી ખાધી, 3ના મોત, બે ગંભીર
જામનગરના ધ્રોલ નજીક પૂરફાટ ઝડપે કારએ પલટી ખાધી, 3ના મોત, બે ગંભીર

જામનગરના ધ્રોલ નજીક પૂરફાટ ઝડપે કારએ પલટી ખાધી, 3ના મોત, બે ગંભીર

0
Social Share
  • લતીપર ગામે લગ્ન સમારોહમાં આવેલા મિત્રો રાત્રે નાસ્તો કરવા નીકળ્યા હતા
  • નાસ્તો કરીને પરત ફરતા ગોકૂળપુર નજીક સર્જાયો અકસ્માત
  • કારના પતરા ચીરીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા

જામનગરઃ  જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓમાંથી ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકોને અતિ ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતની એવી વિગતો જાણવા મળી છે કે,  જામનગર અને રાજકોટના પાંચ મિત્રો વર્ના કાર લઇને લતીપર ખાતે એક લગ્ન સમારંભમાં આવ્યા હતાં. જ્યાં રાત્રે દાંડિયા રાસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગોકુળપુર નજીક હાઈવે પર કારચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ કાર ગુલાંટ મારીને રોડની સાઇડમાં ખાડામાં ખાબકી હતી. કાર ખાડામાં ખાબકતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, જેમણે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

આ અકસ્માતના બનાવની જાણ થતાં તુરંત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં રૂષિભાઈ મુકેશભાઈ ચભાડિયા (રાજકોટ), ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા (રહે. શિવનગર શેરી નં. 4, શંકર ટેકરી ઉદ્યોગનગર પાસે, જામનગર) અને વિવેકભાઈ દિનેશભાઈ પરમાર (રહે.શ્રીજી હોલ પાસે, જામનગર)ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં કાર અનિયંત્રિત થઈને પલટી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું પડીકું વળી ગયું હતું. મૃતદેહોને બહાર કાઢવા કારનાં પતરાં ચીરવાં પડ્યાં હતાં આ અકસ્માતમાં મોતને ભેટેલો જામનગરનો વિવેક પરમાર શહેરના મહાવીર પાક વિસ્તાર શ્રીજી હોલ પાસે રહેતો હતો. જે કોલેજ પૂરી કર્યા બાદ સીએનસી મશીનમાં નોકરી કરતો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા પરિવારમાં શોકનું મોજુ છવાઈ ગયું છે. જ્યારે અકસ્માતમાં કાળને ભેટેલો 19 વર્ષીય રૂષિ મુકેશભાઈ ચભાડીયા રાજકોટની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો હતો.જ્યારે મૃતક ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા જામનગરના ઉદ્યોગ નગર વિસ્તારમાં બ્રાસપાટમાં મજૂરી કામ કરે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code