સુરત, 16 જુન, 2026 : Fire in garden waste in municipal plots in Surat શહેરના પાલ ગૌરવપથ રોડ પર આવેલા મ્યુનિના એક ખુલ્લા પ્લોટમાં ગાર્ડનના વેસ્ટેડ કચરામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતું. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સતત પાણીનો મારો ચલાવીને 13 કલાક બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના પાલ ગામ ખાતે ગૌરવ પથ પાસે મ્યુનિ.કોર્પોરેશનનો ખુલ્લો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં મ્યુનિ. દ્વારા ગાર્ડનનો વેસ્ટેડ કચરો અને સૂકા પાંદડા ઠલવવામાં આવતા હતા. અગમ્ય કારણોસર આ કચરાના ઢગલામાં આગ ફાટી નીકળી હતી. સૂકો કચરો હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ઘટના અંગે સ્થાનિક કોર્પોરેટર નીલેશ પટેલે જણાવ્યું કે, સાંજના આશરે 7:20 વાગ્યે તેમને આ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. આગ વધુ વિકરાળ બનતા પાલનપુર, મોરાભાગળ, અડાજણ અને જહાંગીરપુરા ફાયર સ્ટેશનની કુલ 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર ગિરીશ શેલરે જણાવ્યું કે, કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યા બાદ પાલનપુરની બે, મોરાભાગળની એક, અડાજણની એક અને જહાંગીરપુરાની ગાડીઓ સહિતનો કાફલો અને ફાયર ફાઇટરો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. આગ એટલી પ્રચંડ છે કે તેને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયર બ્રિગેડના ફાયટરોએ સતત પાણીનો મારો ચલાવીને 13 કલાક બાદ આગને કાબુમાં લીધી હતી. ફાયર વિભાગે જેસીબી મશીનની મદદ પણ લીધી હતી. જેસીબી દ્વારા કચરો ખસેડીને આગ પર પાણીનો મોરો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.


