
- બાઈકસવાર બન્ને યુવાનોના ઘટનાસ્થળે મોત
- મુબઈ જઈ રહેલી લકઝરી બસે બાઈકને ટક્કર મારી અને કોરને પણ અડફેટે લીધી
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
મહેસાણાઃ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ઊંઝાના બ્રાહ્મણવાડા હાઈવે પર લકઝરી બસ, બાઈક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં બાઈકસવાર બે યુવાનોના મોત નિપજ્યા હતા. અકસ્માતના બનાવની જાઁણ થતાં સ્થાનિક લોકોના ટોળાં દોડી આવ્યા હતા. દરમિયાન પોલીસને જાણ કરાતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ દોડી આવ્યા હતા. પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માતનો ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઇવે પર ગઈકાલે રાત્રે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈકસવાર બે યુવાનનાં મોત નીપજ્યાં હતાં. રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલી લક્ઝરી બસ, બાઈક અને કાર વચ્ચે થયેલા ટ્રિપલ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાને જીવ ગુમાવ્યા હતા. હાલ ઊંઝા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મૃતક યુવકોનાં નામ પ્રમોદ ભૂલઇ જૈસવાર (ઉં.વ 40, રહે. પેટી કિરત, જોનપુર, ઉત્તરપ્રદેશ.) અને રત્નારામ હાલારામ મીણા (ઉં.વ 26, રહે. વિડાવલ. તા લસાડિયા. જિ સ્લુમ્બર, રાજસ્થાન.) (હાલ બન્ને રહે માઇક્રોટોલ કંપની બ્રાહ્મણવાડા, ઊંઝા.) હોવાનું જાણવા મળ્યુ છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઇવે ઉપર પ્રીત હોટલની સામે લકઝરી બસના ચાલકે પોતાની લકઝરી બસ પૂરઝડપે ચલાવી રોડ ક્રોસિંગ કરી રહેલી મોટરસાઇકલને ટક્કર મારી હતી. એ બાદ સામેથી રોંગ સાઈડમાં આવતી સફેદ કારને પણ ટક્કર મારતાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. મૃતક યુવાનો બ્રાહ્મણવાડા વિસ્તારની આસપાસ આવેલી ખાનગી ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હતા. તેઓ કામ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકસવાર બંને યુવાનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.