જુનાગઢના ભવનાથમાં આજે મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું
જુનાગઢ, 15 ફેબ્રુઆરી-2026: ગરવા ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. આજે મહા શિવરાત્રિએ 5 દિવસીય મેળાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાવનાથ મહાદેવજીના દર્શન માટે ભારે ભીડ જોવા મળી છે.. સમગ્ર ભવનાથ ક્ષેત્ર અત્યારે ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે મધ્યરાત્રીએ નાગા સાધુઓ, વરિષ્ઠ સંતો અને મહામંડલેશ્વરોની ભવ્ય શાહી રવેડી નીકળશે, જે બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે આ મેળાની વિધિવત પૂર્ણાહુતિ થશે.
ગિરનારની તળેટીમાં આજે વહેલી સવારથી જ ભવનાથ મહાદેવજીના દર્શન કરવા માટે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સરકારી આંકડાઓ મુજબ, છેલ્લા ચાર દિવસમાં 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ મીની કુંભમાં આસ્થાની ડૂબકી લગાવી છે. આ વર્ષે ભાવિકોને પૂરતી સુખ-સુવિધા અને કડક સુરક્ષા મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. સમગ્ર મેળા ક્ષેત્રમાં ભક્તિ, ભોજન અને ભજનનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો છે. જ્યાં શિવ અને જીવનું અનોખું મિલન થાય છે, તે ગરવા ગઢ ગિરનારની ગોદમાં લાખો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના જયઘોષ બોલાવી રહ્યા છે. 11 ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ પાંચ દિવસીય મહામેળોમાં આજે અંતિમ દિવસે આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું છે. મીની કુંભ તરીકે ઓળખાતા મહાશિવરાત્રીના આ મહામેળામાં ભક્તિ, ભજન અને ભોજનનો અદ્ભુત સમન્વય જોવા મળી રહ્યો છે. હાથમાં ત્રિશૂલ, હોઠ પર હર હર મહાદેવનો નાદ અને હૃદયમાં અખંડ શ્રદ્ધા દરેક ક્ષણ ભક્તિથી ભીંજાઈ છે, દરેક ચહેરા પર ભોળાનાથના દર્શનની આતુરતા ઝળહળી રહી છે.
આ મેળાનું હ્રદય હોય તો તે આ સાધુ-સંતો છે. વર્ષમાં માત્ર એકવાર દર્શન આપતા આ વિરક્ત મહાત્માઓ કોઈ વર્ષોથી એક પગ પર તપમાં લીન, કોઈ મૌન વ્રતથી સંસારથી પર જોવા મળે છે. ભગવાન શિવ પ્રત્યેની તેમની અડગ ભક્તિ ભક્તોને ચકિત કરી દે તેવી છે. અહીં ભક્તિ સાથે સેવાનો પણ મહાયજ્ઞ ચાલી રહ્યો છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા હજારો ભક્તો માટે ભોજન, પાણી અને આરોગ્યની સુવિધા કરવામાં આવી છે. વહીવટી તંત્રની સુવ્યવસ્થિત તૈયારીઓથી મેળાનો રંગ દીપી ઉઠ્યો છે.


