અમદાવાદ, 4 જુન, 2026 : Fire breaks out in boat anchored under Gandhi Bridge શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી વાસણા બેરેજના સમારકામને લીધે ખાલી કરવામાં આવી છે. સાબરમતી નદી ખાલી થતાં એક ખાનગી એજન્સીની બોટને ગાંધીબ્રિજ નીચે રિવરફ્રન્ટ પર લાંગરવામાં આવી હતી. દરમિયાન આજે કોઈ કારણોસર બોટમાં આગ લાગી હતી. આગની લપેટ જોઈને બ્રિજ પરથી પસાર થઈ રહેલા જાગૃત નાગરિકો અને વાહનચાલકોએ તાત્કાલિક કંટ્રોલ રૂમ પર ફાયરબ્રિગેડને આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફાયર વિભાગની 2 ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.અને આગને કાબમાં લીધી હતી.
ફાયરબ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ હાલ સાબરમતી નદીમાં બોટિંગની પ્રવૃત્તિઓ બંધ હોવાના કારણે ખાનગી બોટને રિવરફ્રન્ટના કિનારે ગાંધીબ્રિજ નીચે લાંગરીને (બંધ હાલતમાં) રાખવામાં આવી હતી. બોટમાં આગ લાગી હોવાનો કોલ મળતા ફાયરનો કાફલો દોડી ગયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે નીચે પહોંચવાને બદલે ફાયર ફાઇટરોની ટીમે સમયસૂચકતા વાપરીને ગાંધીબ્રિજની ઉપરથી જ બોટ પર પાણીનો ભારે મારો ચલાવવાનું શરૂ કરી દીધું હતું. ફાયર ટીમના સચોટ ઓપરેશનના કારણે આગ વધુ ફેલાય તે પહેલાં જ તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.
સદનસીબે બોટ બંધ હોવાથી અને આસપાસ કોઈ નાગરિકો ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી છે. જોકે, બોટમાં આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્ય કોઈ કારણોસર, તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.


