- તુર્કીના રાષ્ટ્રપતિ કાશ્મીર મામલાથી દૂર રહ્યાં
- ઈઝરાયના વડાપ્રધાન ઉપર કર્યાં આકરા પ્રહાર
નવી દિલ્હીઃ પાકિસ્તાનના મિત્ર તુર્કીએ પણ શાહબાઝને છોડી દીધો હોય તેમ લાગી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. બેઠક દરમિયાન એર્દોગને ગાઝા યુદ્ધને લઈને ઈઝરાયેલ પર આકરા પ્રહારો કર્યા હતા, પરંતુ કાશ્મીરનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો ન હતો. 2019 પછી આ પ્રથમ વખત છે જ્યારે એર્દોગને સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરથી પોતાને દૂર રાખ્યાં હતા. આ પહેલા એર્દોગન સતત કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવતા રહ્યા હતા.
તુર્કીએ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને એવા સમયે દગો આપ્યો છે જ્યારે શાહબાઝ શરીફ મહાસભામાં કાશ્મીરનો આગ આલોપવાની તૈયારી કરી રહ્યા છે. આ ભાષણમાં એર્દોગને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હિટલર સાથે સરખામણી કરી હતી. જાણકારોનું માનવું છે કે આ વખતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન કાશ્મીરમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીનો મુદ્દો ઉઠાવી શકે છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, શહેબાઝ શરીફ ન્યૂયોર્ક પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપવાના છે. આ વખતે શાહબાઝ શરીફ ઈસ્લામોફોબિયા અને પેલેસ્ટાઈનનો મુદ્દો પણ ઉઠાવશે. ગયા વર્ષે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટે કાશ્મીરનો મુદ્દો મહત્વપૂર્ણ છે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવ્યા પછી, પાકિસ્તાન વિશ્વભરના મંચો પર કાશ્મીરનો મુદ્દો પૂરી તાકાતથી ઉઠાવી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનનો અવાજ કોઈ સાંભળતું નથી. હવે પાકિસ્તાનને તેના મિત્ર તુર્કિયેથી પણ આંચકો લાગ્યો છે. આ પહેલા તુર્કીએ પાકિસ્તાનને વધુ પ્રાધાન્ય આપતા કાશ્મીરનો મુદ્દો સતત ઉઠાવ્યો છે. વર્ષ 2023ના ભાષણમાં તુર્કીએ કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. જે બાદ કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત થશે અને ત્યાંના લોકોમાં સ્થિરતા અને સમૃદ્ધિ આવશે.
સંયુક્ત રાષ્ટ્રમાં 2020ના ભાષણમાં તુર્કીએ કાશ્મીર મુદ્દાને સળગતો મુદ્દો ગણાવ્યો હતો. સાથે જ કલમ 370ને ફરીથી લાગુ કરવાની માંગ કરી હતી. દરમિયાન, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નિકટતા વધી રહી છે. તુર્કિયે પાકિસ્તાનને મોટી માત્રામાં સૈન્ય હથિયારો અને કિલર ડ્રોન સપ્લાય કરી રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે તુર્કી બ્રિક્સનું સભ્ય બનવા માંગે છે અને આ માટે તેને ભારતની જરૂર પડશે. જો ભારત સહમત નહીં થાય તો બ્રિક્સના સભ્ય બનવાનો તેનો રસ્તો બંધ થઈ જશે, જેના કારણે તુર્કીએ ભારત પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે.


